જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માં થી (પૃ. ૧૯૫)
“શ્રીકૃષ્ણે પોતાના શ્યામસુંદર દેહને પીતાંબરથી આચ્છાદિત કર્યો છે, ઘનશ્યામ કેશકલાપ ચામર જેવો ચૂડાકારે બાંધ્યો છે. એમાં ખોસેલું સુંદર રંગબેરંગી મયૂરર્પીંછ હવા સાથે ડોલી રહ્યું છે. ભાલ પર ચંદનનું ચંદ્રબિંદુ ને ગોરોચનનું તિલક કર્યું છે. શંખાકાર નયનોમાં છલકાતું આંજણ આંજ્યું છે. મકરાકાર કુંડલો કર્ણપ્રદેશ પરથી ગાલ સુધી હીંચી રહ્યાં છે. દેહ પરથી મૃદમદની સુવાસ આવી રહી છે. અંગપ્રત્યંગ પર ચૌઆચંદન લગાવેલું છે. કંઠમાં વૈજન્યતી માળા છે. માળામાં કૌસ્તુભમણિ ઝળકી રહ્યો છે. લાક્ષારાગથી સુકોમળ પગ ખુલ્લા છે, ને જમણાં હાથમાં બંસી શોભી રહી છે.” અને (પૃ. ૨૦૦) “એ હરિની મનહર છબી મને બરાબર સ્મૃતિમાં છે. અદભુત બંસીનાદથી પોતાની અધરસુધા વહાવતાં હતાં. એ બંસીનાદે મને મુગ્ધ કરી.” મનનાં સ્મૃતિપટ પર આ મધુર દ્ર્શ્ય અને તેનું અવલોકન કૃષ્ણ ભગવાનનાં દિવ્યસ્વરુપ ની અનુભુતી જરૂર કરાવે છે.
Posted in સાહિત્યસરિતા
