શ્રદ્ધાનું બીજું નામ છે આત્મબળ. એના સહારે માણસ ગમે તેવી આંધીને વળોટી શકે છે, પાતાળનો ભેદ પામી શકે છે, રેતીના રણમાં ફૂલ ખીલવી શકે છે. કસોટીકાળમાં શ્રદ્ધા ડગમગી જવાની પૂરી શક્યતા છે, છતાં અતૂટ વિશ્વાસ અશ્રદ્ધાને હડસેલી દે છે. વાંચો ગની દહીંવાળાનો એક શેર:
શ્રદ્ધા જ મારી લઈ ગઈ, મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
માણસ પ્રયત્ન કરે અને સફળતા મળી જ જાય એવી કોઈ શરત ચાલે નહીં.
કવિ દિલીપ પરિખ કહે છે :
પ્રયત્નોની બધી નિષ્ફળતા સામે,
ઉમીદો રાખવાનું નામ શ્રદ્ધા.
અને હરેશ ‘તથાગત’ના શબ્દોમાં
શ્રદ્ધા મને છે એટલી તારી દયા ઉપર,
કીધાં નથી મેં પાપ જે એ પણ કબૂલ છે.
સાભાર: અઝીઝ ટંકારવી, ‘ગઝલના ગુલમહોર’ પૃ. ૮૮-૮૯
Posted in કાવ્યકુંજ, વીણેલાં મોતી
