મુનશીએ સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઋત્વિજ બની ગુજરાતી રંગભૂમિનો ઉદ્ધાર કરવા નોંધપાત્ર પૂરૂષાર્થ ખેડેલો. એક-દોઢ દાયકો એવો ઉજ્જવળ અને ગૌરવવંતો હતો કે સામાજિક સમારંભોથી માંડીને અવેતન નાટ્યસંસ્થાઓ દ્વારા મુનશીનાં ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘કાકાની શશી’, ‘બે ખરાબ જણ’વગેરે અને ‘ચંદ્રવદનનાં ‘મૂંગી સ્ત્રી’, ‘પ્રેમનું મોતી’, ‘આગગાડી’, વગેરે નાટકો ઠેર ઠેર ઉમળકાભેર ભજવાતાં. પણ મુનશીનું ધ્યેય એકાન્તિક ન બનતાં અનેકવિધ પ્રવાહોમાં વહેંચઈ ગયું.
મુનશી હાડે રંગભૂમિ ના માણસ…. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અવનતિકાળે અને નવી રંગભૂમિના ઉદયકાળે મુનશીએ સમર્થ પ્રાણવાન અભિનય અને સાહિત્યિક ગુણોથી વિભૂષિત નાટ્યરચનાઓ આપી નૂતન કેડી રચવાનું ભગીરથ કાર્ય બજાવ્યું છે. ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં મુનશીનું નાટ્યપ્રદાન સીમાચિન્હરૂપ છે.
લવકુમાર દેસાઈ ની રંગભૂમિ કેનવાસે માં થી: પૃ. ૪૧
