ડો. દિનેશ શાહ - એક ગમતીલો માણસ (પુરૂષોત્તમ ઉપાધ્યાયના શબ્દોમાં)
ડો. દિનેશ શાહ એક મળવાં જેવાં માણસ છે. એમનામાં વૈજ્ઞાનિક અને પદ્યકાર બંનેનો સમન્વય થયો છે. વૈજ્ઞાનિકને બ્રહ્માંડમાં રસ હોય છે. અને જેમને શબ્દ સાથે લેવાદેવા છે, એને શબ્દબ્રહ્મમાં રસ હોય છે. વૈજ્ઞાનિક હકીકત અને તર્કનો આધાર લે છે, અને કવિ ઊર્મિ અને કલ્પનાનો આધાર લે છે. બંનેના રસ્તા અલગ છે. પણ મંઝિલ એક છે.
એક ગમતીલો માણસ, પરબ તારાં પાણી
(નોંધ: ઊર્મિ દ્વારા દિનેશભાઈ વિષે અનાયાસ ખબર પડી. તરત જ અહીંની યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયા ની લાયબ્રેરી માં તપાસ કરતાં દિનેશભાઈનું આ પુસ્તક મળી આવ્યું ને એમાંથી એમણે લખેલાં ત્રણ સુંદર કાવ્યો અહીં લીધાં છે. સાથે સાથે એમનાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કરેલાં યોગદાન વિષે પણ ખુબ જાણકારી મળી.)
માનવ થાવું છે
વૃક્ષો ઊંચો એવો ન મારે તાડ થાવું છે
થાક્યાંને છાંયો દે એ વડનું ઝાડ થાવું છે
ઘૂઘવતો ખારાં પાણીનો ન સાગર થાવું છે
તરસ્યાને રાહત દે એ પરબની ગાગર થાવું છે
રાજરાણી હારનું ન મારે મોતી થાવું છે
કોઈ ગરીબ ઘર ચણતરની મારે રેતી થાવું છે
કવિઓ જેના ગીતો લખે ન રૂપાળો ચાંદ થાવું છે
બતાવે ભૂલ્યાંને રસ્તો એ ધૂવ નો તારો થાવું છે
બળવાન કે ધનવાન યા ન દેવ-દાનવ થાવું છે
ફક્ત પરદુ:ખને સમજી શકું એ માન થાવું છે
(પરબ તારા પાણી, પાનુ ૩૪)
માણસાઈ ના દીવા ટહુકો પર સાંભળો
આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એક માં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં
આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું બળતું રહ્યું, એક રાત ના છેડા સુધી
આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાત ના પ્રારંભ સુધી
ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી
ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી?
કાં દિવડાં તે ના કર્યાં, જે ઝળકતાં યુગો સુધી?
એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી
પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઈના દિવા ઝળકતાં યુગો સુધી-
પરબ તારાં પાણી, પાનું. ૫
મારા વિદ્યાર્થિઓને
ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં..
આ મેઘધનુષના રંગ સમા
ચમક્યા હીરા માણેક ઘણાં
મોંઘેરા એ છો ન સોને મઢ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં..
દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઈ પરમ તણાં
હીરા તો કઠિન આ વજ્ર સમા
મને રેતીમાંથી રતન જડ્યાં..
ઝબક્યાં હીરા અંધાર ઘણાં
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં
મને રેતીમાંથી રતન જડ્યાં..
(પરબ તારા પાણી, પાનુ ૧૩)
ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાની સ્થાપના પ્રસંગે
વરસાદને હું ઝંખતો જોઈને નાની વાદળી
ધન્ય છે અજાણ મિત્રો સ્થાપવા આ અકાદમી
માળીઓ આ બાગના એક’દિ ચાલી જશે
ને ખાતર પાણી નાખનારાં એક’દિ ભૂલાઈ જશે
ફળો મીઠા આવશે ત્યારે બીજ વાવનાર ભૂલાઈ જશે
પાણી પીશે થાક્યો મુસાફર, કૂવો ખોદનાર ભૂલાઈ જશે
વર્ષો વહી જાશે અને દિનઘડી ભૂલાઈ જશે
ફક્ત સાહિત્યના કંઈ ફૂલોની સુવાસ ફેલાતી હશે
આપું અંતરની શુભેચ્છા તવપાથ પથરાતી જશે
આ નવભૂમિ નવી ચોપડી ગીતોથી ઊભરાતી જશે
પરબ તારાં પાણી, પાનું. ૨૫
ઊર્મિ નો સાગર પર વાંચો પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ
ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો દિનેશભાઈની જીવનઝાંખી
Posted in વીણેલાં મોતી
