Posted by: bansinaad | Sunday, January 14, 2007

ઈશ્વર કયાં મળે?

ઈશ્વર કયાં મળે?

આ વિભાગ માં હું દર થોડાં થોડાં દિવસે મારાં ઈશ્વર વિષેના વિચારો, જે પોતે જ ઈશ્વર પ્રેરીત છે, (હું તો માત્ર એક સાધન જ છું) ને રજું કરવાનો પ્રયત્ન કરીશ. આ વિચારો જેમ જેમ પરિપક્વ થશે તેમ તેમ ક્દાચ મારૂં લખાણ બદલાશે પણ ખરૂં..

ઈશ્વર મંદિર માં રહે છે ખરો? એને કેવી રીતે અનુભવાય? એ કેવો હશે? મંદિર માં આરતી થતી વખતે ઘંટનાદનો સ્વર કે પછી તેજસ્વી દિવડાનું અજવાળું આપણાં મનમાં કેવી લાગણી ઉત્પન્ન કરે છે? મંદિરની મુર્તિઓ શું દર્શાવે છે?
આ બધાં સવાલો મને ઘણી વખત થાય છે. મને લાગે છે કે ઈશ્વર ની હાજરી કોઈપણ નિ:સ્વાર્થ ભાવે થતી સેવા કે કોઈ પણ કાર્યં કે જે અપેક્ષારહિત, પ્રેમ થી ઉભરાતું, આનંદથી છલોછલ ભરેલું, ત્યાગ અને સમર્પણ ની ભાવના થી સંક્ળાયેલુ, શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે દીપતું, અને સચ્ચાઈ ની સુવાસ થી મહેકતું હોય એમાં કદાચ અનુભવી શકાય. જે મંદિરો માં મોટાં મોટાં રાજભોગ થતાં હોય પણ જ્યાં એક ભીખ માંગતી ભુખી વ્યક્તિ ને હાંકી કાઢવાં માં આવે ત્યાં મંદિરમાં બેઠેલો ભગવાન પોતે જ અંદરોઅંદર હસતો હશે માણસ પર, એની અજ્ઞાનતા પર અને વિચારતો હશે કે મંદિરમાં આરતી તો થઈ પણ માનવીયતા ની આરતી ક્યાં છે?

સાભળ્યું છે કે ગંગા માં સ્નાન કરવાથી બધાં પાપો ધોવાઇ જાય છે. મને લાગે છે કે એટલે જ દુનિયામાં પાપો વધતાં જાય છે; પાપ કરનાર વિચારે છે કે ગંગા માં નાહી લઈશ. પણ ઈશ્વર ક્યાં છે? મલિન ગંગા થી થતાં રોગો ને દૂર કરનાર ડોક્ટર વિચારે છે ભલે ગંગા ને ગંદી થવા દો, મારો ધંધો હજી ફૂલશે. જયાં પવિત્ર વિચારો ન હોય ત્યાં ઈશ્વર કેવી રીતે હોઈ શકે?


Responses

  1. મનની આસ્થા બાંધી રાખવા મંદિર અને મૂર્તી જરૂરી નથી લાગતી? આપણે હજી એ સ્તરે નથી પહોંચ્યા કે નિર્ગુણ નિરાકાર પ્રભુનું સ્વરૂપ મ્હાલી શકીયે. એની હાજરી આપણને ખોટું કરતા રોકે છે. ગંગા તો પવિત્રતાનું સ્વરૂપ છે ભલે તેમાં નહાવાથી આપણાં પાપો ધોવતા ન હોય પણ એમાં નહાવાથી શું પવિત્રતા નથી અનુભવાતી?
    મંદિરના ઘંટારવ મનની અશાંતી દૂર નથી કરતી? કરી જુઓ એ ઘંટારવ સાથે ૐનું મનન. મળી રહેશે દરેક સવાલોનાં જવાબ.

  2. નિલાબેનની વાત પણ સાચી છે… પરંતુ આખરે એ બધુંયે માધ્યમ જ છે ને!! ગંગામૈયા પણ! મલિન મન લઇને કરેલું ગંગાસ્નાન પણ કોઇ કામનું નથી અને એ ઘરે કરેલા બાથરૂમ-સ્નાન જેવું જ છે! જ્યાં સુધી અંતરની ગંગા સ્વચ્છ ન થાય ત્યાં સુધી હરિની ગંગા પણ માણસને શુધ્ધ કરી શકતી નથી.

    આ લેખને લગતી નથી, પરંતુ એક વાત અહીં કહેવાનું મન થાય છે…
    ગયા વર્ષે હું હરિદ્વાર ગઇ હતી, અને ત્યાંની હરિની ગંગાને જોઇને તો જાણે હ્રદય રડી ઉઠેલું… અરે, ચરણામૃત તો શું, પણ એના જળને માથે ચડાવવાનુંયે મન ન થાય એવું દશા છે ત્યાં ગંગામૈયાની!! અને ત્યારે મને થયું હતું આ પંક્તિ કવિએ એકદમ સાર્થક જ ગાઇ છે ‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ, પાપીઓકે પાપ ધોતે ધોતે…” મારા માનવા પ્રમાણે આપણાં આ હરિનાં દ્વાર કહેવાતાં પવિત્ર ધાર્મિક-સ્થાનની મહત્તા અને સ્વચ્છતા જાળવવાની કોશિશો સરકારે જરૂર થવી જોઇએ!

  3. જયભાઇ, થોડોક ટેકનિકલ જવાબ આપીશ તમારા પ્રશ્નનો.

    પહેલા ઇશ્વર એટલે શું?
    ઈશ્વર શબ્દ “ઈશ્” ધાતુ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે to contorl. તો ઈશ્વર એટલે શબ્દશઃ અર્થ થાય છે controller.
    ઈશ્વર ક્યાં મળે? આ પ્રશ્નનો જવાબમાં ઈશ્વરના (at least હું જેમને ઈશ્વર માનુ છું એમના) જ શબ્દો ટાંકીશઃ

    ईश्वरः सर्वभूतानाम् हृद्देशे अर्जुन तिष्ठँति|
    भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया || (भगवद् गीता १८.६१)

    ઈશ્વર સર્વ જીવો ના હૃદયમાં વસે છે અને માયા (Matrix???) વડે (વિશ્વરૂપી) યંત્ર પર આરુઢ સર્વ જીવો નું નિયમન કરે છે.

    જો કદી મળશે તો અંદર જ મળશે એ વાતની ગૅરેન્ટી છે. માટે જ જૈનો પ્રતિક્રમણ જેવો શબ્દ વાપરે છે. આપણી પાસેની ઊર્જા લઇને જાતની બહાર ઈન્દ્રિયો અને તેમના વિષયો દ્વારા સુખ પ્રાપ્ત કરવું એટલે આક્રમણ અને તેનાથી બિલકુલ ઊલટ કરવું એટલે કે પોતાની જાતમાં જવું એટલે પ્રતિક્રમણ. પતંજલિ એને જ પ્રત્યાહાર કહે છે.

    એ વાત પરથી લખેલી એક અછંદાસ રચના યાદ આવે છેઃ

    અગિયારમી દિશાઃ

    દસે દિશાઓમાં દોડી દોડીને થાકી ગયો છું
    અગિયારમી દિશા સાદ પાડીને બોલાવે છે.
    લાગે છે હવે તો અંદર જવું જ પડશે.

    હેમંત પુણેકર


Leave a response

Your response:

Categories