Posted by: જય ભટ્ટ | Sunday, January 31, 2010

ગાંધીજી ને યાદ કરતાં કરતાં….

૩૦મી જાન્યુઆરીના રોજ ગાંધીજીની હત્યા થઇ ત્યારે શ્રી શ્રીમા આનંદમયીએ કહ્યું હતું, ‘ગાંધીજીએ હિંસાવૃત્તિ પર અહિંસાવૃત્તિ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો. શાંતભાવથી ‘રામરામ’ કરતા ચાલી ગયા. આ પ્રસંગે રમણ મહર્ષિએ કહ્યું હતું ‘રાવણનો વધ કર્યા પછી રામે પાછા વૈકુંઠમાં જવાનું હતું. તે યાદ કરાવવા યમ આવે છે અને રામને વૈકુંઠમાં પાછા ફરવા વિનંતી કરે છે. ઉત્તર રામાયણમાં આવી વાત આવે છે. ભગવાન કૃષ્ણ પણ કામ પૂરું થયા પછી પારધીના બાણથી વીંધાઇને સ્વધામ પાછા ફરે છે. આ રીતે ગાંધીજીને પણ સ્વરાજ આવ્યા બાદ એમનું કામ પૂર્ણ થતાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.’

આગળ વાંચો ગુજરાતનો મન ઝરુખો પર: અઘ્યાત્મિક મહાપુરુષ મહાત્મા ગાંધીજી

એ સમાચાર આઘાતજનક અને દુઃખદ હતા. એમને લીધે રાતભર ચિંતા રહી. હવે દેશનું શું ? સદભાગ્યે દેશમાં એમના હાથ નીચે તૈયાર થયેલા નેતાઓ છે. જો કે તેમના પ્રેરણાદાતા કે પથપ્રદર્શક તે જ હતા અને તે પ્રેરણા જતી રહી છે, તો પણ ચિંતાતુર તેમ જ નિરાશ બનવાનું કારણ નથી. ઇશ્વરની ઇચ્છા ભારતને સમૃદ્ધ કે સમુન્નત કરવાની ને તેની દ્વારા સમસ્ત સંસારને શાંતિ ને સ્વતંત્રતાનો, આધ્યાત્મિક જીવનનો સંદેશો સંભળાવવાની છે. એના અધ્યાયનો આવકારદાયક આશીર્વાદરૂપ આરંભ મહર્ષિ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ જેવા પુરુષવિશેષના પ્રાકટ્યથી થઇ ચૂક્યો છે. ગાંધીજી એમના સર્વોત્તમ પ્રતિનિધિ હતા. એમના દેહાવસાન પછી પણ એ કલ્યાણકાર્ય ચાલુ જ રહેશે. એ ઇશ્વરનો સંકેત હોવાથી સાર્થક થવાનો જ. મેં અત્યંત કરુણ હૃદયે ઇશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભારત તેમ જ સંસારમાં સાચા સેવાભાવી સત્પુરુષોની પરંપરાને પ્રકટાવીને સુખશાંતિ અને સમુન્નતિનું સામ્રાજ્ય શરૂ કરજો, તેમ જ મારી સઘળી સાધનાત્મક ઇચ્છાને શીઘ્રાતિશીઘ્ર પૂરી કરજો, જેથી હું પણ મારા જીવનનો બીજાને માટે કાંઇક સદુપયોગ કરી શકું.

આગળ વાંચો  સ્વર્ગારોહણ પર:  મહાત્મા ગાંધીજીનું દેહાવસાન

Posted by: જય ભટ્ટ | Saturday, January 23, 2010

ડ્રેક્ષેલ હોમ કમીંગ ડાન્સ પાર્ટી

અમારી યુનિવર્સિટીના વિદ્યાર્થિઓ દ્વારા બનાવેલી આ નાની વિડિયો ક્લીપ ક્દાચ તમને જોવાની ઘણી ગમશે. વિદ્યાર્થિઓની સર્જનાત્મક શક્તિ ખીલે અને એમનો જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક બને એ ઘણુ જ અગત્યનું

છે.  અહીં નિહાળોઃ ડ્રેક્ષેલ હોમ કમીંગ ડાન્સ પાર્ટી

અમારી યુનિવર્સિટીનો કેમ્પસ અને લાયબ્રેરીના અમુક દ્રશ્યોની ઝલક પણ તમને જોવા મળશે.

ડ્રેક્ષેલ હોમ કમીંગ વિષે વધુ માહિતી માટે વાંચોઃ ડ્રેક્ષેલ હોમ કમીંગ ૨૦૧૦

દિવ્ય ભાસ્કરમાં જયેશભાઈ અધ્યારુના લેખ ‘ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે’ પર ‘બંસીનાદ’ બ્લોગની નોંધ લેવાઈ છે તે બદલ જયેશભાઈનો ખુબ ખુબ આભાર.

આ લેખમાંથી થોડું અહીં લખું છું.

“એ સિવાય બાપુ વિશે કે બાપુ દ્વારા ગુજરાતીમાં લખાયેલાં જે છુટાછવાયાં લેખો, પ્રસંગો, આત્મકથાના ખંડો કે ઉદ્ધરણો ગુજરાતી બ્લોગ જગતમાં જ જોવા મળે છે. એમાં ‘ગુર્જરી.નેટ’, ‘બંસીનાદ.વર્ડપ્રેસ’, ‘ઉર્મિ.વર્ડપ્રેસ’ વગેરે નોંધનીય છે. બાકી તો વિવિધ ગુજરાતી અખબારોમાં છપાયેલાં ગાંધીજી વિષયક લેખોનો સમાવેશ થાય છે.”

અક્ષરોને બદલે હરતાં ફરતાં ગાંધીજી જોવામાં રસ હોય, તો સૌથી મોટી ઓનલાઇન વીડિયો શેરિંગ સાઇટ ‘યૂ ટયૂબ’ પર આવવું પડે. ત્યાં ‘મહાત્મા ગાંધી’ લખીને સર્ચ મારો એટલે ૯૮૧ વીડિયોઝ મળી આવે. તેમાં ગાંધીજીના રેર વીડિયોઝ, ફોટોગ્રાફસ, સ્પીચ, કવોટ્સ, વિવિધ મુદ્દે બાપુના વિચારો વગેરેનું સંકલન કરીને મૂકાયેલા વીડિયોઝ નજરે ચડે. હિસ્ટ્રી ચેનલે ‘બાયોગ્રાફી’ સિરિઝમાં બાપુ પર બનાવેલો એપિસોડ પાંચ ભાગમાં ઉપલબ્ધ છે, એ ખાસ્સો રસપ્રદ છે. બાપુના જીવન અને સત્યની શોધની તેમની યાત્રાની વાત માંડતી ફિલ્મ ૩૦૯ મિનિટની ‘મહાત્મા- લાઇફ ઓફ ગાંધી’ ફિલ્મ આખે આખી ગૂગલ વીડિયોઝ પર ઉપલબ્ધ છે. ૧૯૬૮માં બનેલી આ ડોકયુમેન્ટરી ફિલ્મ ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ અને ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનના સહયોગથી વિઠ્ઠલભાઇ ઝવેરીએ બનાવી છે.’

વાંચોઃ ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે’.

Posted by: જય ભટ્ટ | Friday, January 15, 2010

મારો મિત્ર જેક

મારો એક મિત્ર. લાયબ્રેરીમાં ખાસ મને મળવા આવે.  લાયબ્રેરી બંધ થાય ત્યારે અમે બંને નજીકના ટ્રેન સ્ટેશન પર જઈએં. સ્ટેશન પર લગભગ વીસ મિનિટ જુદા જુદા વિષયો પર વાત કરવા મળે. મારી ટ્રેન આવે પછી હું ઘર તરફ પ્રયાણ કરૂ. આખાં સ્ટેશન પર માત્ર ૩-૪ જણા જ હોય.  જેક અમેરિકન હોવાં છતાં પણ એને ગાયત્રી મંત્ર આવડે. શુદ્ધ શાકાહારી. અમારી લાયબ્રેરીમાં માનવીય  ‘કરુણા’ વિષયક ઘણા પુસ્તકો આવ્યા છે. એમાંથી ઘણા જેકે જ અભ્યર્પિત કર્યા છે, ભગવાન બુદ્ધની આ ફિલસુફી વીશે અમે બંનેને જાણવાનું ઘણું મન થયું. એકાદ પુસ્તકમાંથી વાંચીને સ્ટેશન પર આવીએ ત્યારે જીવન કરુણાલક્ષી કેવી રીતે બનાવીએ તેની પર થોડો વિચાર વિમર્શ કરીએ. જેકની સાથેની મારી મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલા મારી લાયબ્રેરીમાં જ થઈ હતી, એને પણ પુસ્તકોનો ઘણો જ શોખ, ગીતા અને ઉપનીષદો પણ  એણે વાંચેલા. ગાયત્રી મંત્ર પણ મોઢે કરીને કેવી રીતે બોલવો તે પણ શીખી લીધું. કરુણા અને અનુકંપાનો અનુભવ અહીની હોસ્પિટલોમાં થઇ ચુક્યો હતો. જે પ્રેમભાવથી રીતે નર્સો, ડોક્ટરો કે કોઈ પણ સ્ટાફ મેમ્બર દર્દીઓને પુરેપુરી સુવિધાઓ પૂરી પાડતું હતું તે ખરેખર પ્રશંસીનય બની જાય છે. કોઈ જાતની ફરિયાદ નહિ.  કાયમ હસતાં જ. કોઈ દર્દીને કસરતના એક ભાગ રૂપે ચલાવવાનો હોય તેને પણ પુરેપુરા ભાવથી અને અત્યંત કરુણાપૂર્વક એને ચલાવે. આ વિષય પર પણ અમે બંનેએ ખુબ વાત કરી. ‘કરુણા’ને જીવનમાં આત્મસાત કરવાનો મનસુબો કરી લીધો. પ્રાર્થના કરતી વખતે કરુણાનો ઈશ્વરીય  સ્ત્રોત અંતરમાં દાખલ થતો હોય એવી કલ્પના કરીએ.  એક વખતે જેકની સાથે હું કારમાં ન્યુ જર્સી જતો હતો ત્યારે રસ્તામાં કોઈની કાર બગડેલી જોઈ. જેકે કાર ઉભી રાખી. એ વ્યક્તિને ઉભા રહીને મદદ કરી. જ્યાં સુધી કોઈ વ્યવસ્થા નહી થઈ ત્યાં સુધી જેકે ત્યાંથી જવાનું નામ નહિ લીધું.જેકના  મિત્રોની યાદીમાં એક વધુ નામનો ઉમેરો થયો. લાયબ્રેરીમાં આવતી એક વૃદ્ધ યુવતીની કાર બગડી ગઈ ત્યારે જેક પોતે જ એને એના ઘરે મૂકી આવ્યો. જેકમાંથી એક વસ્તુ હું શીખવાનો પ્રયત્ન કરું છું અને તે છે ‘પ્રેમાળ કરુણા’ . બુદ્ધિસ્ટ ફિલસૂફીમાં એને ‘Loving Kindness’ ane ‘Compassion’ કહેવાય છે.

Posted by: જય ભટ્ટ | Wednesday, January 13, 2010

પતંગ

પતંગ

પતંગ જેમ આકાશમાં દોરીના સથવારે
વિહરી શકે છે અને ગગનની  ઉંચાઈને માપી શકે છે
તેવી જ રીતે માનવીય મન વિચારોના સથવારે
અંતરના ઊંડાણમાં જઈ દરેક પરિસ્થિતિને
આનંદિત બનાવી જીવનના ઊંચામાં ઊંચા સ્તરે
પહોચી શકે છે.

ગયા વર્ષે લખેલી  મારી આ રચના યાદ આવી ગઈ.

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક  મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

Posted by: જય ભટ્ટ | Sunday, January 10, 2010

વિચાર સ્ત્રોત

દરિયા કિનારે  ઉછળતા મોજા કિનારે આવી અથડાય છે. હું કિનારે ચાલુ છું. મોજાને જોઈને કુદરતના
આ નિત્ય ક્રમને આનંદથી માણું છું. મોંજા પાછા જાય છે અને દૂર દૂર  મહાસાગરમાં ખોવાઈ જતાં જોઈ રહું છું.
ઉછળતાં મોજા જોઈને મન-સમુંદરમાં સુંદર વિચારો ઉદ્ભવે છે. એ વિચારોને પાછા જતાં રોકું છું.
વિચારો થકી સુંદર કાર્ય કરવા માટે પ્રેરાઉં છું. કાર્યની સફળતા મળે કે ના મળે..એની અપેક્ષા નથી.
બધું ઈશ્વર સમર્પિત. કાર્ય કરવાનો આનંદ એ મારી કદી ના ઓછી થતી સંપત્તિ બની રહે છે.
કુદરતના સાનિધ્યમાં આવતા પ્રેરણાત્મક વિચારો દુન્યવી સુંદરતાને અને હૃદયંગમ ભાવોને
માનસપટ પર કાયમ માટે અંકિત કરી દે છે.

Posted by: જય ભટ્ટ | Thursday, January 7, 2010

ઈશ્વરે શું વિચાર્યું હશે?

મંદિરે દર્શન કરવા આવતું એક સુંદર યુગલ કારમાંથી ઉતરી
દાન પેટીમાં પોતાનો ફાળો આપે છે. સ્વાદીષ્ટ ભોગનો થાળ
ઈશ્વરને અર્પે છે. પાછા જતી વખતે એક ગરીબ બાળકને
ધુત્કારી કાર ઝડપથી હંકારી મુકે છે. ઈશ્વરે શું વિચાર્યું હશે?

પુષ્કળ હિમવર્ષા થયા  પછી પોતાને આંગણેથી બરફ કાઢવા મથતા
એક વૃદ્ધ વ્યક્તિને જોઈ સંવેદનાથી ઉભરાતા ત્રણ વિધાર્થીઓ
એની પાસે પંહોચી જાય છે. એ વૃદ્ધ વ્યક્તિને ઘરે બેસાડી
બરફ રસ્તા પરથી કાઢવાના કામે વિદ્યાર્થીઓ લાગી જાય છે.
ઈશ્વરે શું વિચાર્યું હશે?

દિવાળીની નિમિત્તે  કારખાનામાં કામ કરતો પ્યુન નાની બક્ષિસ
માંગવા માલિક પાસે આવે છે. માલિક ‘જા નહિ મળે’ કહીને એને હડસેલી મુકે છે. ઘરે જતાં જતાં માલિક પોતાની પ્રિય મિત્ર માટે મોંઘામાં મોંઘી સાડી ખરીદે છે.
ઈશ્વરે શું વિચાર્યું હશે?

પ્રશ્નોના સમાધાન ઈચ્છતું એક યુગલ એક સાયકોલોજીસ્ટ પાસે જાય છે.
ખુબ કીમત આપીને સુખી બનવાનો સહેલો કીમિયો અપનાવે છે. મિત્રો અને વડીલો થી દુર જવાનો પ્રયત્ન કરે છે.  ભારતીય સંસ્કૃતિની મૂડી સમાન ‘ગીતા’ અભરાઈ પર ધૂળ ખાતી પડી છે.
ઈશ્વરે શું વિચાર્યું હશે?

અમેરિકન સહકાર્યકરો સાથે ફિલાડેલ્ફિઆના ‘ચાટ હાઉસ’માં સમોસા ચાટ, દહીં વડા, અને પાણી-પુરી ખાઈને
એમને ભારતની સુંદર વાનગીઓનો પરિચય કરાવ્યો ત્યારે એમણે ભારત વિષે વધુ ને વધુ માહિતિ મેળવવાનો પ્રયત્ન કર્યો. લાયબ્રેરીમાં ભારતીય સાડી અને એના ઈતિહાસ વિષેના પુસ્તકો પણ હવે ઉપ્લબ્ધ કરવામા આવ્યા છે, તો સાથે સાથે બોલિવુડની અમુક હિન્દી ફિલ્મો, ભારતની સ્વતંત્રતાની લડત વિષેના પુસ્તકો અને
જુદી જુદી ભાષા વિષયક પુસ્તકો અહીંના પુસ્તકાલયોમાંથી મળી શકે છે. ઈશ્વરે શું વિચાર્યું હશે?

Posted by: જય ભટ્ટ | Sunday, December 27, 2009

ગામનો ચોરો

ગામનો ચોરો. ચોરા પર બેસીને

લોકો અરસ પરસની વાતો કરે.

એકબીજાના ખબર અંતર પુછે.

કોઇ ચિંતા નહિ. એકબીજાની પુષ્ક્ળ હુંફ.

રાત્રે સૌ ભેગા થાય. પ્રશ્નોના ઉકેલ પણ

સહિયારા લેવાય. લાગણીનો અવિરત પ્રવાહ

વહેતો રહે. સ્નેહનો પારસ્પરિક આવિર્ભાવ

રહેતો હોવાથી મિત્રભાવ પણ કાયમ જ રહે.

ઈંટરનેટના આ જમાનામાં ‘ગામના આ ચોરા’નું

ભવિષ્ય ધૂંધળું દેખાય છે.

ક્દાચ ‘ઓરકુટ’ અને ‘ફેસબુક’ પર’ વિવિધ

વાસ્તવિક સમુદાયોની રચના થાય કે જ્યાં

આવો ‘ચોરો’ બની શકે?

માત્ર જરુર છે વિશ્વાસ, શ્રદ્ધા અને નૈતિક મૈત્રીભાવની.

Posted by: જય ભટ્ટ | Saturday, December 26, 2009

વિચારધારા

સમય બદલાય છે. સમય સ્નેહ, લાગણી, શ્રદ્ધા અને વિશ્વાસ શું છે તે શીખવાડવાનો પ્રયત્ન કરે છે. આત્મા રહે છે તો એજ પણ વધુ ને વધુ નવપલ્લવિત થાય છે. હું બદલાવું છુ પણ આત્મા સુંદરતાની ખોજમાં સફાળા થતો જણાય છે. આત્મા નિરાકાર છે. આત્મા મને ચઢિયાતી વ્યક્તિ બનવા તરફ પ્રેરણા આપે છે.

દરિયાકિનારે સુંદર સાંજને નિહાળતા નિહાળતા નજર પડી   રેતી પર ઉડી જતી ભેળપૂરી ખાઈને ફેંકાઇ ગયેલી કાગળની પ્લેટ પર. આવતા જતા હજારો પ્રેમી યુગલો આનંદમાં મસ્ત પણ પર્યાવરણથી અલિપ્ત. દરિયાઈ સુંદરતાને ન ભૂલતા પ્રેમ અને પર્યાવરણનો સુભગ સમન્વય ક્યારે થશે?

કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે. જે કવિતા લખી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે, અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ, સુંદરતા, દર્દ, કે ગમ જેવા ભાવો હમેશા સાચા જ હોય છે. એમાં કૃત્રિમતા હોતી જ નથી. કલ્પના ઘણી વખત માનવીને નહી કલ્પેલા સુખનો અનુભવ કરાવી શકે છે. તેથી જ કાવ્યરસિકો કે લેખકોને સુખ શોધવા માટે આંધળી દોટ મુકવી પડતી નથી.

Posted by: જય ભટ્ટ | Saturday, December 19, 2009

જ્યારે આનંદથી છલકાઉં છું.

દરિયાની જેમ વિશાળતા  ઈચ્છું છું,
જ્યારે સંકુચિત માનસ જોઉં છું.
ગુલાબની જેમ ખીલું છું,
જ્યારે મૈત્રીસભર અમૃત મેળવું છું.
નદીની જેમ વહેતો રહું છું,
જ્યારે અમીભરી દ્રષ્ટી પામું છું.
બરફની જેમ પીગળી જાઉં છું
જ્યારે સ્નેહભરી નજર મેળવું  છું.
વરસાદની જેમ વરસું છું,
જ્યારે આનંદથી છલકાઉં છું.

Older Posts »

Categories