Posted by: જય ભટ્ટ | Saturday, December 19, 2009
જ્યારે આનંદથી છલકાઉં છું.
દરિયાની જેમ વિશાળતા ઈચ્છું છું,
Posted in મારૂં સર્જન
Posted by: જય ભટ્ટ | Saturday, December 12, 2009
લાયબ્રેરીમાં ‘ચેસ’
લાયબ્રેરીમાં ‘ચેસ’
દર શુક્રવારે મારી લાયબ્રેરીમાં નાના ભુલકાઓને કે મોટાઓને ચેસ રમતાં શીખવાડવા માટે એક સ્વયંસેવક આવે છે.
કોઈ પણ જાતની અપેક્ષા વગર આ ભાઈ બપોરે ત્રણ વાગે આવી જાય છે. રેફરન્સ ટેબલની પાસે લાયબ્રેરીમાં આવતાં જીજ્ઞાસુઓ માટે ટેબલો રાખવામાં આવ્યા છે. આ જ ટેબલો પર ‘ચેસ’ની રમત વિષેની જાણકારી અપાય છે. ત્રણ-ચાર નાના ભૂલકાઓ એવા છે કે ત્રણ વાગે શાળામાં થી છુટ્યા પછી સીધા અમારી લાયબ્રેરીમાં આવી બેસી જાય છે. ચેસ શીખવાડતો સ્વયંસેવક પણ એમને જોઈને આનંદમાં આવી જાય છે. લગભગ ચાર કલાક ચાલતી આ પ્રણાલી ધીમે ધીમે આસપાસમાં રહેતાં લોકો, શિક્ષકો, અને બાળકોનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી છે. એટલું જ નહિ, સ્વયંસેવક ભાઈ આ ભૂલકાઓને લાયબ્રેરીના ઓનલાઈન કેટાલોગમાં ચેસ વિષયક પુસ્તકો કેવી રીતે શોધવા તે શીખવા માટે મારી ડેસ્ક પર લઇ આવે છે. ઘરે જાય ત્યારે એમણે બે-ત્રણ પુસ્તકો લઇ જવાના હોય છે. આ સમય દરમિયાન દૂરદર્શન કે કમ્પયુટરથી દૂર આ બાળકો જ્ઞાનસભર સમય સુંદર રીતે વ્યતિત કરે છે.
Posted in મારૂં સર્જન, લાયબ્રેરીના અનુભવો
Posted by: જય ભટ્ટ | Saturday, December 5, 2009
સહજ જીવન, મધુર સમય
વિવિધરંગી જીવન માણવાની કાલ્પનિક દુનિયામાં સરી પડતાં કંઈક આવા વિચારોએ મારા માનસપટ પર સ્થાન લીધું. આપણું આચરણ એટલું સહજ બનાવીએ કે હર પળે આપણા હ્રદયમાંથી પ્રેમ અને આત્મિય મૈત્રીભાવ સદૈવ વહેતો રહે. સરળ વ્યવ્હાર દ્વારા અહંકાર વગર મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જીએ જેથી લાગણીસભર આંતરિક મિઠાશ અરસ પરસ કોઈ પણ ભેદ ભાવ વગર વંહેચી શકીએ. જીવનભરનો મૈત્રીસભર વ્યવ્હાર એટલે વ્યક્તિગત ચિરંતન મધુર સમયનો આવિષ્કાર. દરેક વસ્તુમાં દેખાય છે માત્ર ‘પ્રેમ’. કૃત્રિમ વાતાવરણથી દૂર દૂર જઇ આનંદ્સભર પર્યાવરણ નિર્માણ કરી દરેક પળને બસ અનુભવ્યા જ કરીએ. એક્બીજાની સરખામણી કર્યા વગર પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉત્ત્મોત્ત્મ યોગદાન પ્ર્દાન કરીએ. સાથ, સહ્કાર, કરુણા, મૈત્રી, પ્રેમ, વિવેક, અને આનંદથી આપણા મનને ભરી દઈએ. રમતો, કાર્યક્ર્મો, સાહિત્ય, વિવિધ કળા સમૃદ્ધિ (નૃત્ય, સંગીત, કે ચલચિત્રો) બધું જ સાહજિક રીતે માણી શકીએ.
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
Posted by: જય ભટ્ટ | Saturday, November 28, 2009
બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !
“બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !”
સંદેશમાં વાંચોઃ ગાંધીજી ઈતિહાસપુરુષ અને વિશ્વપુરુષ (સફરનામા)
“લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિશ્વભરમાંથી અંજલિઓ આવી, પણ શ્રેષ્ઠ કવિતાલીટી બ્રાઝિલની એક પોર્ટુગીઝ ભાષી કવયિત્રીની હતી : બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું ! જર્મનીના સ્ટુટગાર્ડ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે. ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની અંદર જે વાક્યો લખેલાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. ઈઝરાયલના રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવના રેગિસ્તાનના કિબુત્ઝમાં આજે પણ એમ જ રાખ્યું છે અને એમાં ગાંધીજીનો લટકાવેલો ફોટો એમ જ છે”".
સંદેશમાં વાંચોઃ: “બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !”
Posted in ડીજીટલ ગાંધીજી
Posted by: જય ભટ્ટ | Wednesday, November 25, 2009
જાન્વી મહેતાની એક સુંદર રચનાઃ મેઘધનુષનો આઠમો રંગ: મેઘધનુષનો આઠમો રંગ
મેઘધનુષનો આઠમો રંગ
ચાલો આજે આપણે કશુંક નવું કરીએ,
પીંજરૂં તોડી આઝાદી માણીએ,
તેજ લીસોટો બની વિજળીની જેમ ત્રાટકીએ,
પત્થરો ને પીગળાવતાં મોજા બનીએ.
ઇતિહાસ નુ પુનરાવર્તન કરી ચાલો નવા પાત્રો બનીએ,
યુગોને એક ક્ષણમાં ફેરવીએ,
અંતરિક્ષમાં જઈને થપ્પો રમીએ,
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ.
ચાલો આપણે આપણી દ્રષ્ટિ બદલીએ,
પહેલા વરસાદની ભીની ખુશ્બુ બનીએ,
શબ્દોની ખોજમાં સફરે જઈએ,
કોરા કાગળની શાહી બનીએ.
નિરક્ષરોનું જ્ઞાન બનીએ
‘જનરેશન ગેપ’નો સેતુ બનીએ,
વાર્તાલાપોની કવિતાઓ બનાવીએ ને કવિતાઓની અંતાક્ષરી,
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ
ચાલો આપણે નવજાત શિશુનુ રૂદન (હાસ્ય) બનીએ
ગરીબની દિકરીનું પાનેતર અને વિધવા સ્ત્રીનો ચાંદલો બનીએ
ચાલો વૃદ્ધાશ્રમોમાં મીઠું સંગીત રેલાવીએ
બિમાર ના મોઢા પરનું સ્મિત બનીએ
થંભી ગયેલા શ્વાસોની ગતિ બનીએ
આઠમા સુરજને પણ પુજીએ
ચાલો થોડો મનુષ્ય ધર્મ બજાવીએ
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ
ચાલો આપણે લોકોના દીલ મા વસી રામ, મહાવીર, પયંગમ્બર બનીએ
રણમાં ગુલાબના છોડ વાવીએ,
આ બનાવટી દુનિયામાં સાચા ફૂલ ઉગાડીએ.
આ ખાલી મકાનોને ઘર બનાવીએ
મશીનમાંથી પાછા માનવ બનીએ
હું અને તું મટી ને આપણે બનીએ
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ
- જાન્વી મહેતા
Posted in વીણેલાં મોતી
Posted by: જય ભટ્ટ | Saturday, November 21, 2009
પ્રેમ અને સુખનો સાક્ષાત્કાર
સાચી ની:સ્વાર્થ લાગણી એવું પ્રેરક બળ છે કે જે માનવ જીવનને પ્રેમ વડે પરમ સુખ આપનારો સનાતન સ્ત્રોત બનાવી શકે છે. ત્યારે એ વ્યક્તિના સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિઓ કોઈ અલૌકિક ભાવનો અનુભવ કરે છે, અરસ-પરસનો સ્નેહ અપ્રતિમ બનતો જણાય છે અને સાથે સાથે સેવા અને સહકાર જેવા ગુણો વધારે ને વધારે ગાઢા બનતા જણાય છે. બધી સરહદો ઓગળી જાય છે. દરેક વસ્તુમાં દેખાય છે માત્ર ‘પ્રેમ’.સુખ એ દરેક વ્યક્તિ ની આંતરિક અભિવ્યક્તિ છે. માનવ સુખને અનુભવી શકે છે કે નહિ તેનો આધાર એ વ્યક્તિના સ્વભાવ, દ્રષ્ટિકોણ, અને મનોવૃત્તિ પર અવલંબે છે. હકારાત્મક અભિગમ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આનંદનો સાક્ષાત્કાર કરાવી શકે છે.
સાહજીક રીતે કોઈપણ શરતો વગર અરસ-પરસ થતી મુલાકાતો અને વાતો નિખાલસ પ્રેમ અને આનંદના સ્ત્રોતોનું ઉદ્ભવસ્થાન બની રહે છે.
Posted in મારૂં સર્જન
Posted by: જય ભટ્ટ | Saturday, November 14, 2009
ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન – એક ઝલક
ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન – એક ઝલક
હું શાશ્વત વિદ્યાર્થિ છું. દરેક ક્ષણે કંઈ ને કંઈ શીખવાનું મને ચોક્કસ ગમે. દરેક પળને કઈ રીતે પુરેપુરી રીતે માણી શકું અને મારા જીવનમાં આવતાં વિદ્યાર્થિઓને કઈ રીતે મદદરૂપ બની શકું એ એક મારૂં મુખ્ય ધ્યેય. અનેક વિદ્યાર્થિઓને હું મળું છું, એમની સાથે એમના જુદાં જુદાં પ્રોજેકટ બાબતે ચર્ચામાં ભાગ લઉં છું. સાથે સાથે અહીં આ વિદ્યાર્થિઓ કઇ રીતે ભણે છે તેની જાણકારી મેળવું છું. ચાલો, થોડું એમના વિદ્યાર્થિજીવનમાં ડોકિયું કરી લઈએ.
અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં દસેક અઠ્વાડિયાની એક ટર્મ હોય છે. આખા વર્ષમાં એવી ચાર ટર્મ દરેક વિદ્યાર્થિએ લેવાની હોય છે.
એક ટર્મમાં અંડરર્ગ્રેજ્યુએટ વિદ્યાર્થિ પાંચ-છ જેટલાં કોર્સિસ લે છે જ્યારે ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ભણતો વિદ્યાર્થિ ત્રણ-ચાર કોર્સિસ લે છે.
પી.એચ.ડી. કરતો વિદ્યાર્થિ શોધ-ખોળ અને એના પ્રયોગો કરવામાં વધુ ધ્યાન આપે છે. વિદ્યાર્થિઓ એકબીજામાંથી ચોરી નહિ કરે એ માટે શિક્ષકો કમ્પ્યુટરની મદદથી પ્રશ્નપત્ર એવું બનાવે છે કે જેથી દરેક વિદ્યાર્થિને જુદાં જુદાં પ્રશ્નપત્ર મળે. દરેક વિદ્યાર્થિ લગભગ દિવસમાં દસ-પંદર કલાક ભણવામાં ગાળતો હોય છે. શનિ-રવિમાં મજા પણ કરી લેતો હોય છે. એમના પ્રોજેક્ટ પણ ઘણાં મહત્વાકાંક્ષી હોય છે. એંજિનિયરીંગ ડિઝાઈનનો પ્રોજેક્ટ કરવા માટે ત્રણ ટર્મ આપવામાં આવે છે. કેન્સર નેનોટેકનોલોજીથી માંડીને ‘રેસ કાર’ જેવાં પ્રોજેક્ટ ચાર વિદ્યાર્થિઓ સાથે મળીને કરતાં હોય છે. અમારી લાયબ્રેરીમાં ગ્રુપ સ્ટડી રૂમ અને વાયરલેસ નેટવર્કની સુવિધા આપવામાં આવી છે. પ્રોજેક્ટર લઈને પ્રેસનટશનનો રિયાઝ કરતાં વિદ્યાર્થિઓ ગ્રુપ સ્ટડી રૂમમાં નજરે પડે છે. એમના શિક્ષણમાં મને થોડો ફાળો આપવાનું મળે છે ત્યારે જીવનમાં કંઈક ઉપયોગી કાર્ય કર્યાનો સંતોષ જરૂર મળે છે.
Posted in મારૂં સર્જન, લાયબ્રેરીના અનુભવો
Posted by: જય ભટ્ટ | Saturday, October 31, 2009
મારે માટે આનંદ એટલે શું?
મારે માટે આનંદ એટલે શું?
દરેક ક્ષણને કોઈ પણ પરિસ્થિતિમાં પુરેપુરી રીતે આનંદપૂર્વક અને હળવાશથી માણવી પછી ભલે એ ક્ષણ મુશ્કેલમાં મુશ્કેલ અનુભવ લઈને આવી હોય. એ સમયે કપરી પરિસ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરી કોઈ પણ ફરિયાદ વગર હૃદયપૂર્વક એને મિત્ર બનાવી આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.
આનંદ અને સુખ સાહજિક બને.. એને મેળવવા માટે પ્રયત્ન જ કરવો ન પડે ત્યારે એ ક્ષણ કાયમ માટે ઉલ્લાસ આપનારી બની જાય છે. નદીકિનારે બેઠાં બેઠાં પાણીને લહેરોને આગળ વધતી જોવી, એને માણવી, મિત્ર સાથે ખુલ્લા દિલે વાત કરતાં કરતાં, આકાશમાં આગળ વધતાં મુલાયમ વાદળોને જોતાં જોતાં, આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.
ધસમસતી દોડી જતી ટ્રેનમાં બારી પાસે બેઠાં બેઠાં સમાંતરે ઉંધી દિશામાં દોડતાં વૃક્ષોને નિહાળતાં નિહાળતાં, કોઈ સ્ટેશન આવતાં ગરમ ફુદીના વાળી ચા પીતાં પીતાં, કે પછી કોઈ વૃદ્ધ વ્યક્તિને બેગ ઉતારવામાં આનંદપૂર્વક કોઈ પણ અપેક્ષા વગર મદદ કરતાં કરતાં, આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.
ચાલતાં ચાલતાં પક્ષીઓનો કલરવ સાંભળતા સાંભળતા, રસ્તામાં મળતાં મિત્રો અને અજાણી વ્યક્તિઓનું અભિવાદન કરતાં કરતાં, સુંદર રમણીય ફૂલોની મીઠાશને હૃદયમાં અંકિત કરતી આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
Posted by: જય ભટ્ટ | Saturday, October 10, 2009
સમય
સમય વિષે વિચાર કરું છું, પણ સમજ પડતી નથી. એને પકડી રાખવાનો પ્રયત્ન કરું છું, પણ દૂર ભાગતો જાય છે. સુંદર માણેલી પળોને અંતરમાં જકડી રાખું છું, તો પણ સમય હાથતાળી આપી ભાગી જાય છે. અનુભવેલી પ્રેમાળ ક્ષણો ફરી ક્યારે આવે તેની પ્રતિક્ષા કરું છું, ત્યારે સમય મારી પાછળ આવતો જણાય છે. અને એ સમય ક્યારે આવે તેની તલાશમાં રહું છું. કુદરતના સાન્નિધ્યમાં માણેલું સૌન્દર્ય યાદોની મસ્તીમાં અને સ્મરણોની વહેતી અવિરત ધારામાં અમર થતું જણાય છે, ત્યારે લાગે છે કે સમયને હું કેદ કરી શક્યો છું. સ્નેહ, પ્રેમ અને લાગણીને સમયનું બંધન નડતું નથી એવું લાગે છે. કદાચ સમયના વહેણમાં એ વધુને વધુ ગાઢ બનતી જાય છે ત્યારે સમય ‘નહી પકડાવાનો’ આનંદ જીવનમાં સંતોષની અનુભૂતિ કરાવી જાય છે. મારું અસ્તિત્વ ઉત્સવમય બનતું જણાય છે. સાથ, સેવા અને સહકાર કદાચ સમયની મર્યાદા વગર અનુભવી શકાય જ નહિ. હું લખું છું, પણ સમય પસાર થઇ ગયો. જે લખાયું તે સમયની શ્રદ્ધાંજલિ છે અને જે કર્મ થઈ રહ્યું છે તે પણ સમયનાં સાનિધ્યમાં જ થઇ રહ્યું છે. મારા જીવનની જે પળ મારા સંપર્કમાં આવતા મિત્રોને કે કોઈ પણ વ્યક્તિને આનંદનો અનુભવ કરાવી શકે તો મારે માટે એ પળ અમૂલ્ય બની રહેશે.
Posted in મારૂં સર્જન
Posted by: જય ભટ્ટ | Sunday, October 4, 2009
‘ગોપીગીત’ – સુરેશ દલાલ
આજે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પુસ્તકાલયમાંથી સુરેશ દલાલ લિખિત સુંદર પુસ્તક ‘ગોપીગીત’ હાથમાં આવી ગયું. એ વાંચતા જ વાંસળી વગાડતો કાનુડો યાદ આવી ગયો. પ્રસ્તુત છે એમાંથી મનગમતા બે અંશો:
“દિવસ ઢળે છે. સાંજ પડે છે. વનમાંથી તમે પાછા ફરો છો ઘરે. હું તમને જોયા જ કરું છું. તમને મોહ્યા કરું છું.
તમારો ચહેરો. તમારા ઘૂંઘરિયાળા કેશ. અને તમારો ચહેરો પણ કેવો ! ગાયોની ખરીઓમાંથી ઊડેલી ધૂળને
કારણે રજથી મલિન. તમે તો અમારા પ્રિયતમવીર. તમારું સૌન્દર્ય આવું કે એને જોઇને અમારા હૃદયમાં
તમને મળવાની સતત ઝંખના જ જગ્યા કરે. કામ પણ તમે જ ઉત્પન્ન કરો અને તમે જ ઉત્પન્ન કરો પ્રેમ.”
પૃ. ૮૨, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.
“હે પ્રિયતમ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય. તમે વનમાં હોય એટલે દેખાવ નહીં.
દર્શન પણ અદર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ. સાંજને સમયે તમે પાછા વાળો
વળો. તમારા ઘૂંઘરિયાળા કેશ તમારા મુખ પર છવાયેલા હોય. તમારું દર્શન અમને મોહ પમાડનાર. આ
વિધાતા, આ બ્રહ્મા એ પણ ભારી જડ છે. અમારે તમને ધારી ધારીને જોવા છે. અને આ પાંપણો
પલક્યા કરે છે. એની પલકને કારણે તમારા દર્શનમાં પણ અમને મુશ્કેલી પડે છે.”
પૃ. ૧૦૦, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.
વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?
સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો ઈશ્વરીય ભાવ
અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે. .
પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?
જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માંથી: (પૃ: ૪૪)
‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’
થોડીક મારી વિચાર-ધારા
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાનાની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો એની જ માયા છે અને એ માયામાં મને ખોવાડીને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..
Posted in વીણેલાં મોતી, સંસ્કૃતિ