મારે માટે આનંદ એટલે શું?
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
સમય
સમય વિષે વિચાર કરું છું, પણ સમજ પડતી નથી. એને પકડી રાખવાનો પ્રયત્ન કરું છું, પણ દૂર ભાગતો જાય છે. સુંદર માણેલી પળોને અંતરમાં જકડી રાખું છું, તો પણ સમય હાથતાળી આપી ભાગી જાય છે. અનુભવેલી પ્રેમાળ ક્ષણો ફરી ક્યારે આવે તેની પ્રતિક્ષા કરું છું, ત્યારે સમય મારી પાછળ આવતો જણાય છે. અને એ સમય ક્યારે આવે તેની તલાશમાં રહું છું. કુદરતના સાન્નિધ્યમાં માણેલું સૌન્દર્ય યાદોની મસ્તીમાં અને સ્મરણોની વહેતી અવિરત ધારામાં અમર થતું જણાય છે, ત્યારે લાગે છે કે સમયને હું કેદ કરી શક્યો છું. સ્નેહ, પ્રેમ અને લાગણીને સમયનું બંધન નડતું નથી એવું લાગે છે. કદાચ સમયના વહેણમાં એ વધુને વધુ ગાઢ બનતી જાય છે ત્યારે સમય ‘નહી પકડાવાનો’ આનંદ જીવનમાં સંતોષની અનુભૂતિ કરાવી જાય છે. મારું અસ્તિત્વ ઉત્સવમય બનતું જણાય છે. સાથ, સેવા અને સહકાર કદાચ સમયની મર્યાદા વગર અનુભવી શકાય જ નહિ. હું લખું છું, પણ સમય પસાર થઇ ગયો. જે લખાયું તે સમયની શ્રદ્ધાંજલિ છે અને જે કર્મ થઈ રહ્યું છે તે પણ સમયનાં સાનિધ્યમાં જ થઇ રહ્યું છે. મારા જીવનની જે પળ મારા સંપર્કમાં આવતા મિત્રોને કે કોઈ પણ વ્યક્તિને આનંદનો અનુભવ કરાવી શકે તો મારે માટે એ પળ અમૂલ્ય બની રહેશે.
Posted in મારૂં સર્જન
‘ગોપીગીત’ – સુરેશ દલાલ
આજે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પુસ્તકાલયમાંથી સુરેશ દલાલ લિખિત સુંદર પુસ્તક ‘ગોપીગીત’ હાથમાં આવી ગયું. એ વાંચતા જ વાંસળી વગાડતો કાનુડો યાદ આવી ગયો. પ્રસ્તુત છે એમાંથી મનગમતા બે અંશો:
“દિવસ ઢળે છે. સાંજ પડે છે. વનમાંથી તમે પાછા ફરો છો ઘરે. હું તમને જોયા જ કરું છું. તમને મોહ્યા કરું છું.
તમારો ચહેરો. તમારા ઘૂંઘરિયાળા કેશ. અને તમારો ચહેરો પણ કેવો ! ગાયોની ખરીઓમાંથી ઊડેલી ધૂળને
કારણે રજથી મલિન. તમે તો અમારા પ્રિયતમવીર. તમારું સૌન્દર્ય આવું કે એને જોઇને અમારા હૃદયમાં
તમને મળવાની સતત ઝંખના જ જગ્યા કરે. કામ પણ તમે જ ઉત્પન્ન કરો અને તમે જ ઉત્પન્ન કરો પ્રેમ.”
પૃ. ૮૨, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.
“હે પ્રિયતમ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય. તમે વનમાં હોય એટલે દેખાવ નહીં.
દર્શન પણ અદર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ. સાંજને સમયે તમે પાછા વાળો
વળો. તમારા ઘૂંઘરિયાળા કેશ તમારા મુખ પર છવાયેલા હોય. તમારું દર્શન અમને મોહ પમાડનાર. આ
વિધાતા, આ બ્રહ્મા એ પણ ભારી જડ છે. અમારે તમને ધારી ધારીને જોવા છે. અને આ પાંપણો
પલક્યા કરે છે. એની પલકને કારણે તમારા દર્શનમાં પણ અમને મુશ્કેલી પડે છે.”
પૃ. ૧૦૦, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.
વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?
સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો ઈશ્વરીય ભાવ
અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે. .
પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?
જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માંથી: (પૃ: ૪૪)
‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’
થોડીક મારી વિચાર-ધારા
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાનાની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો એની જ માયા છે અને એ માયામાં મને ખોવાડીને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..
Posted in વીણેલાં મોતી, સંસ્કૃતિ
પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો
પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો
એક બે દિવસ પર એક આધેડ વયની યુવતી મારી ડેસ્ક પર એનો લાયબ્રેરી કાર્ડ લઇને આવી. કાર્ડનો ઉપયોગ ખૂબ થયો હોવાથી એના કાર્ડ પરના આંકડા વાંચી શકાતા ન હતા. પુસ્તકાલયના કમ્પ્યુટર પર જઈ રીસર્ચ કરવા માટે આ આંકડાઓ ખુબ અગત્યના હતા, મેં અને નવો કાર્ડ કરાવવા માટે જણાવ્યું. નવો કાર્ડ લેવા માટે ત્રણ ડોલરની કિંમત એણે આપવાની હતી. થોડી વાત કરતા જાણવા મળ્યું કે એણે થોડાં દિવસ પહેલાં જ નોકરી ગુમાવી હતી. નવા જોબની શોધ માટે કમ્પ્યુટરની ખાસ જરૂર હતી એટલે નવો કાર્ડ તો કરાવ્યો પણ પ્રિન્ટ કરેલાં પાના લેવા માટે એની પાસે બીજા પૈસા રહ્યાં ન હતા. જોબ શોધવા માટેની વેબ સાઈટ પણ મેં એને બતાવી. એણે પ્રિન્ટ કરેલાં પેપર લઇ જવા પરવાનગી આપી. ચાર ડોલર મારે એની પાસે લેવાના હતાં. જતાં પહેલાં મને કહી ગઈ કે બે દિવસ પછી ચાર ડોલર આપી જશે. આજે જ્યારે હું ફરી મારી ડેસ્ક પર આવ્યો ત્યારે મારી રાહ જોતી એ ઊભી હતી. હસતાં હસતાં ચાર ડોલર મને આપ્યાં. મેં એનો આભાર માનતા માનતા ખાનામાં ચાર ડોલરને જમા કર્યાં. આવાં તો અનેક કિસ્સાઓ બન્યાં છે જ્યાં પુરેપુરી નિષ્ઠાથી લોકો કોઇપણ જાતનો વિવાદ કર્યા વગર પાસા ચૂકતે કરી જાય છે. પુસ્તક પાછું આપવામાં જ્યારે વિલંબ થાય છે ત્યારે એ વ્યક્તિએ મામુલી દંડ ચૂકવવો પડે છે. ત્યારે પણ એ વ્યક્તિ મહદ અંશે તરત જ એ દંડ ચૂકવી દેશે. પોતાના બાળકોને પણ પ્રમાણિકતાથી વર્તણુંક કરવા પ્રેરે છે તે પણ મેં નજરે જોયું છે મારી લાયબ્રેરીની ડેસ્ક પરથી.
Posted in મારૂં સર્જન, લાયબ્રેરીના અનુભવો
કુદરતના સાનિધ્યમાં પ્રેમનો આવિર્ભાવ
જંગલમાંથી પસાર થતી કેડી કોઈ અદ્ભુત શાંતિનો અનુભા કરાવી રહી હતી.
વૃક્ષો પરથી પડેલા પાંદડા પરથી ચાલતા થતો અવાજ એકલતાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ઊંચા પર્વત પર લઈ જતી કેડી વિવિધ વનસ્પતિઓના દર્શન કરાવતી આગળ વધ્યે જતી હતી.
લાલ, પીળા અને જાંબુડી રંગના સુંદર ફૂલો મનને નિસર્ગ પ્રત્યેના આંતરિક પ્રેમને રોમાંચિત કરવામાં સફળ બની રહ્યા હતા.
પ્રકૃતિના સાનિધ્યમાં હિલોળા લેતું મન જાણે દુનિયાની બધી જ સુંદરતાને વશ કરવા બેચેન થતું જણાયું. ખુબ વરસાદ પડે,
નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભને ચુમતાં વાદળો મન મુકી ને પોતાની સુંદરતા વિખેરે.
અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી
સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી
હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ત્યારે પર્વત પરથી દોડતાં અને ભાગતાં નાના નાના ઝરણાને જોઈને
પ્રેમની અકળ ગતિનો આભાસ થયો. પરિણયના પ્રતિક સમું એક મુલાયમ પુષ્પ અમીઝરણાને અર્પણ કર્યું ત્યારે
એ પણ કોઈકને મળવા બહાવરું બનતું જણાયું.
કેડી આગળ વધતી જતી હતી. મન પ્રકૃતિને માણતું આનંદનો સાક્ષાત્કાર કરતું અને ઈશ્વરીય ભાવોથી ઓતપ્રોત થતું
દુનિયાની આંટી ઘુંટીથી દૂર ને દૂર જઈ રહ્યું હતું. આનંદ અને પ્રેમ બંને અસીમ છે અને તેમને હૃદયનાં શુદ્ધ આંતરિક ભાવો જ
એની અનુભૂતિ કરાવી શકે છે.
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
નામકરણ
તમારું નામ શું?
એ પહેલાં પ્રસંગે તમારું નામ બોલતાં તમને કષ્ટ પડ્યું.
તમે સહજ થોભ્યા. સહેજ ક્ષોભ પામ્યા.
નામ ઉચ્ચાર્યું. મેં ફરીથી ધીરેથી ને લાગણી સાથે એ તમારી આગળ ઉચ્ચાર્યું.
તમે સ્મિત કર્યું. હવે આપણે કાયમ માટે મિત્રો બન્યા.
સ્ત્રોત: ફાધર વાલેસ, નામકરણ, ફાધર વાલેસ લેખ સંચય-૪ ધર્મ, પૃ. ૧૪૫
Posted in વીણેલાં મોતી, સ્નેહના અમૃતબિંદુ
સ્નેહની પરિભાષા
આગળ આગળ ચાલુ છું, સમયનો પીછો કરું છું. વ્યવહારિક બાબતોને ભૂલવાનો પ્રયત્ન કરું છું, પણ વાસ્તવિકતાના દરિયામાં ખોવાઈ જતો લાગુ છું. સ્નેહ અને પ્રેમભરી ઘટનાઓ
કોઈવાર અનુભવું છું ત્યારે માનવતાને કોઈ વાર જીવતદાન મળતું નિહાળું છું.
પુસ્તકાલયમાં શાળામાં ભણતો વિદ્યાર્થી કોઈ પ્રૌઢને કમ્પ્યુટર પર મધુપ્રમેહ વિષે માહિતી મેળવતા શીખવાડતો જોઉં છું ત્યારે એ પ્રૌઢની આંખોમાં ઉભરતો વ્હાલનો વરસાદ જોઈ શકું છું. સ્વયંસેવકો કોઈ પણ જાતની અપેક્ષા વગર પોતાના જીવની પરવા કર્યા વિના પુરમાં ફસાયેલા લોકોને બચાવતા જોઈ
પ્રેમનાં અમીઝરણાને વિસ્તરતું જોઈ શકું છું. હર એક દિલમાં પ્રેમની પરિભાષા છુપાયેલી છે જે જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થતી કોઈ વાર જોઉં છું ત્યારે મન આનંદના મહાસાગરમાં ડૂબકી મારે છે.
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ
શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો પર વાંચો:
“મા શારદાના ચારુ ચરણે સો કરતાં વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી એક સમર્થ સંત અને સાહિત્યકાર હતા. આ વેબસાઈટ તેમના અદભુત જીવનને તેમના અનેકવિધ સર્જનો – જેવા કે ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, સાધકો સાથેની પ્રશ્નોત્તરી, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા તેમની પોતાની સુપ્રસિદ્ધ આત્મકથા દ્વારા અભિવ્યક્ત કરે છે. અહીં આપ તેમના દ્વારા ગુજરાતીમાં પદ્યાનુવાદ કરાયેલ રામચરિતમાનસ, ભગવદ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા બહુવિધ ગ્રંથો જેવાં કે બ્રહ્મસૂત્ર, મહર્ષિ પતંજલિના યોગસૂત્રો, વિવિધ ઉપનિષદો, મહાભારત, ભાગવત તથા રામાયણને ગુજરાતીમાં માણી શકશો.
નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ગંગાસતીના પ્રસિદ્ધ ભક્તિપદો, જાણીતા ગુજરાતી ભજનો, સ્તુતિ, આરતી, બાવની અને સ્તવનો ઉપરાંત આપ મા સર્વેશ્વરી રચિત અનેકવિધ ભજનોને તેમના કંઠે તથા યોગેશ્વરજીના ભજનોને પ્રસિદ્ધ ગાયક આશિત અને હેમા દેસાઈના કંઠે અમારા ઓડિયો વિભાગમાં સાંભળી શકશો. યોગેશ્વરજી દ્વારા લિખિત વિવિધ પુસ્તકો ઉપરાંત ભગવદ્ ગીતા, ઉપનિષદ, ભાગવત, રામચરિતમાનસ જેવા ગ્રંથોને ઈ-બુક સ્વરૂપે ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકશો.”
ભગવદ્-ગીતા
ગીતા-દર્શન
રામાયણ
શિવમહિમ્નસ્તોત્ર
શ્રીમદ્ ભાગવત
અન્ય પુસ્તકો
કવિતાઓ
ગોપી ગીત
શ્રી યોગેશ્વરજી ના ભજનો
નરસિંહ મહેતા અને મીરાંબાઈ ના ભજનો
યોગસૂત્ર
સ્વર્ગારોહણ પર સાંભળો
Posted in થોડું ઈશ્વરપ્રેરીત, વીણેલાં મોતી, સંસ્કૃતિ
આવું કરીએ તો કેવું?
જીવનમાંથી ‘ફરિયાદ’ શબ્દ કાઢીને માત્ર દરેક પરિસ્થિતિમાં આનંદ જ અનુભવવાનો પ્રયત્ન કરીએ તો?
ક્રોધને બદલે તટસ્થતા અને શાંતિ કેળવીએ તો? મૈત્રીભાવમાં પરમ દિવ્યતાનો આનંદ પામવાનો પ્રયત્ન કરીએ તો?
સ્વાર્થને બદલે આપણું દરેક કાર્ય સર્વોપયોગી બની શકે એવો ભાવ રાખીએ તો?
વ્યસ્ત જીવનમાં થોડી પળો નિ:સ્વાર્થ સેવા કરવામાં આપીએ તો? કોઇ અંધ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં મદદ કરીને
કે પછી ઘરડાઘરમાં જઇ કોઇક વ્રુદ્ધના આંસુ લુછીને કે પછી કોઇ પણ કામ કે જે અન્યને સહાયરૂપ બને એવા કાર્યો કરીને….
તો ક્દાચ જીવવાનો સહજ લ્હાવો ખુબ જ સુંદર રીતે આપણે માણી શકીશું….
Posted in મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
સ્વસ્થ તન-મન માટે બાગકામ એક ઉત્કૃષ્ટ વ્યાયામ
નિયમિત રીતે બાગકામ કરીને શરીરની ચરબી ઘટાડી ઘટાડી શકાય છે. બાગકામની પ્રવૃત્તિ 120 થી 200 જેટલી કેલરી આશરે અડધો કલાકમાં બાળી શકે છે . બાગકામ એ ઋતુગત પ્રવૃત્તિ છે . શરીરને જો કામ કરવાની ટેવ ના હોય તો બાગકામની પ્રવૃત્તિ શરીરને ઈજા પહોંચાડી શકે છે.
આગળ વાંચો ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સમાં: સ્વસ્થ તન-મન માટે બાગકામ એક ઉત્કૃષ્ટ વ્યાયામ
અને ચહાના રસિયાઓ માટે એક રસિક સમાચાર: ચા પાણીથી પણ વધુ આરોગ્યપ્રદ પીણું : રિસર્ચ
Posted in આરોગ્ય વિષે
